Tuesday, September 25, 2012

લખી લેજો હથેળીમાં નામ મારું

લખી લેજો હથેળીમાં નામ મારું,
સ્નેહના દેશમાં છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળીથી પાણી પીતાં યાદ આવશે નામ મારું…..

ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ?

ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ? રાખવું હોય તો રાખો હવે ગભરાવ છો કેમ ? જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ, કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ ? ? ?

જો દરેક સમયે સંબંધમાં

જો દરેક સમયે સંબંધમાં ચોખવટ કરવી પડતી હોય તો સમજવું કે આપણા સંબંધમાં કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.
-સર્વદમન

Friday, May 25, 2012

સ્પર્શાય નહીં !


તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

- ભરત વિંઝુડા

દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,


દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,
હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે.

મને સંસાર સારો શુન્ય ભાસે છે તમારા સમ,
નવાઈ છે તમોને શુન્ય મા સંસાર લાગે છે.

તમારે કાર્ય કઈ કરવુ નથી,કરવા નથી દેવુ,
દખલગીરી તમારી મીત્રો અત્યાચાર લાગે છે.

ભયંકર મા ભયંકર રોગ લાગે પ્રેમ તો સૌને,
મને અકસીર મા અકસીર એ ઉપચાર લાગે છે.

નવાઈ છે દુઃખી મા પણ્ દુઃખી છુ તોય પણ “ઘાયલ”
મને મળનાર ને મારો સુખી સંસાર લાગે છે.

-”ઘાયલ”

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,


દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.

નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.

જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.

-”ઘાયલ”

ખૂબ અંદરબહાર જીવ્યો છું


ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું

-’ઘાયલ’

એ કોણ છે?


આમ સંકોચાય છે એ કોણ છે?
કટકા કટકા થાય છે એ કોણ છે?

પૂછવા ક્યાં જાય છે એ કોણ છે?
એને પૂછતાં શું થાય છે એ કોણ છે?

પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ,
સ્પર્શથી ગભરાય છે એ કોણ છે?

પ્રેમથી જે પાય છે પી જાવું છું,
રામ જાણી પાય છે એ કોણ છે?

એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,
ઝૂમતા જે જાય છે એ કોણ છે?

– અમૃત ‘ઘાયલ’

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા – ઘાયલ


ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.

એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.

‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.

- ‘ઘાયલ’

મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’


અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

અમૃત ઘાયલ

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

- ઊર્વીશ વસાવડા

જાતની સાથે જ સોબત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

- ઉર્વીશ વસાવડા

Thursday, November 27, 2008

‘વાર નથી લાગતી’…………


મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.



કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.



કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.



ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.



કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.



- આતિષ પટેલ ‘લક્ષ્ય’